ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સમયે સમયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક અનોખો કાર્યક્રમ એટલે “બાલક-પાલક સર્જન” કાર્યક્રમ. જેનો મુખ્ય હેતુ આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવો, નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત આવી અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિમાં જોડાઈ તે માટે વાલીની ભાગીદારી વધારવી, બાળકો અને વાલીઓ સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓ કરે જેથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળી રહે. જેના અનુસંધાને બોટાદ જિલ્લાની અંદાજે ૫૬૯ આંગણવાડી કેન્દ્રોમાં બે દિવસીય “બાલક-પાલક સર્જન” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૦૩ વર્ષથી ૦૫ વર્ષ સુધીના બાળકો અને તેમના વાલીઓએ સાથે મળીને પાંદડા, મગફળીના ફોતરા તથા આઇસક્રીમ સ્ટીકથી ચિટક કામ, કાગળ કોતરણી, જુદી જુદી રમતો, છાપકામ, રંગપૂરણી સહિતની પ્રવૃત્તિઓ કરી હતી. બાળક તેમજ તેના માતા-પિતાને બોલાવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ આ કાર્યક્રમમાં વાલીઓને તેમનું બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી તેમના ઉછેરમાં રાખવામાં આવતી કાળજીઓ અંગે પણ સંવાદ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત આઈ.સી.ડી.એસ. અમદાવાદના નાયબ નિમાયકશ્રી ઇલાબેન રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોના સર્વાંગી વિકાસ માટેના વિવિધ પાસાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. વધુમાં નાયબ નિમાયકશ્રીએ બાળકોના ભવિષ્ય માટે અને તેમના સંપૂર્ણ વિકાસ માટે આંગણવાડીના મહત્વ અને અન્ય લાભો વિશે માહિતી આપી હતી